જૂની માથાકૂટનો ખાર રાખી યુવાનને છરીના ઘા ઝીકી ખૂની હુમલો કર્યો

જૂનાગઢના અગ્રાવત ચોકમાં બનેલા બનાવમાં ચાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના અગ્રાવત ચોકમાં ગતરાત્રે દસ દિવસ પહેલા થયેલી માથાકૂટનું સામાધાન કરવાની ના પાડતા યુવાનને છરીના ઘા ઝીકીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તત્કાળ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ચાર હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુસબ ઉર્ફે કારો તૈયબભાઇ વિશળ (ઉ.વ.૨૧ રહે.સકકરબાગ રામદેવપરા શંકર ભગવાનના મંદિર પાસે જુનાગઢ)એ આરોપી ભરત કાઠી, રવિ કાઠી, રાજદીપ કાઠી, રાજા શરીફભાઇ કંધાર (રહે. ચારેય આદિત્ય મેઇન રોડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના આશરે એકાદ વાગ્યાના સુમારે જૂનાગઢના મોજે અગ્રાવત ચોક પટેલ પાનની બાજુમા અસ્લમ ઓસમાણભાઇ સીડાને આરોપી ભરત કાઠી તથા રવિ કાઠીએ મૂત્યુ નીપજાવવાના ઇરાદે છરી વડે પેટ ઉપર, પીઠ ઉપર ગંભીર ઇજા કરી તથા રાજદિપ તથા રાજા કંધારે ધોકા તથા પાઇપ વડે મુઢ માર મારી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે દસ દિવસ પહેલા થયેલી માથાકૂટનું સામાધાન કરવાની ના પાડતા યુવાનને છરીના ઘા ઝીંકાયા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.