જૂનાગઢમાં ૧૧ જિલ્લાના ૪૭ યુવક યુવતિઓએ ખડક ચઢાણ બેઝીક કોર્ષથી થયા તાલીમબધ્ધ

મેયરના હસ્તે ખડક ચઢાણ બેઝિક કોર્સના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ

જૂનાગઢ : રાજ્યના ૧૧ જિલ્લાના ૪૭ યુવક યુવતિઓએ જૂનાગઢ ખાતે ગિરનારના દુર્ગમ પહાડોમાં ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમબધ્ધ મેળવી હતી. આ યુવક યુવતિઓની તા. ૮ મે ના રોજ તાલીમ શિબિર પૂર્ણ થતા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન પરમારના હસ્તે ખડક ચઢાણ બેઝિક કોર્સના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ હતુ.

૧૪ થી ૪૫ વર્ષના ૩૨ ભાઈઓ અને ૧૫ બહેનો એમ કુલ ૪૭ યુવક યુવતિઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સ માં ભાગ લઈ માઉન્ટેન વોક, પી.ટી. તાલીમ, રોક ક્લાઈમીંગ – રેપલીંગ, ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશન, ની તલીમ મેળવી હતી. ઉપરાંત ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતાની વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટરો પ્રદીપ કુમાર રાજસ્થાન, જયેશ રામાવત ઓખા, મગન જાંબુચા , કોમલ બારૈયા ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતી. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તારીખ ૨૯ એપ્રીલ ૨૦૨૨ થી ૦૮ મે ૨૦૨૨ દરમ્યાન યોજવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્યના યુવક – યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા ખડક ચઢાણ બેઝિક કોર્સ ૧૪ થી ૪૫ વર્ષ માટે તથા એડવેન્ચર કોર્સ ૮ થી ૧૩ વર્ષ માટે નું આયોજન કરવામાં આવે છે. તેમજ ગુજરાતના કોઈપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે ભ્રમણ ( ટ્રેકીંગ) કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી ગીતાબેન પરમારે તાલીમાર્થીઓને ખડકચઢાણ પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં હકારાત્મક અભિગમ લાવવા જણાવ્યુ હતુ. આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કરાયા હતા. તાલીમાર્થીઓને પ્રોત્સાહક પ્રવચનમાં ઉપેન્દ્રસિંહ રાઠોડ એ રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સાહસિક, યુથ પ્રવૃત્તિઓની માહિતી આપી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા તાલીમાર્થીઓને અનુરોધ કરવામાં આવેલ હતો.

સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી જિડીયા જિગ્નેશભાઈ, મિશ્રા નિલમ દ્વારા કરવામાં આવેલ સમગ્ર શિબિર દરમિયાનના પોતાના અનુભવો લાખાણી મીરાબેન, દવે તન્મય , ચૌધરી પરવિંદર સિંગ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા. જેમાં તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો , તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે તેવું જણાવેલ હતું.