અનાથ ભાઈ-બહેનને સરકાર તરફથી સહાય અપાવતી જૂનાગઢ પોલીસ

ગુજરાત સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત બંને બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને રૂ. 3,000 મળશે

જૂનાગઢ :જૂનાગઢ શહેરના મીરા નગર વિસ્તારમાં સાંજ સવાર વોક કરવા જતા માણસો દ્વારા જાણવા મળેલ કે, ત્યાં રહેતા પરબતભાઇ મેણસીભાઈ નંદાણીયા આહીર, કે જેઓ એક વાડીમાં ખેતમજૂરી કામ કરે છે, તેમના ભાઈ આલાભાઈ કે જેઓ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને તેમના પત્ની 2016 મા બીમારીમાં મૃત્યુ પામેલા હતા, તેઓના અનાથ સંતાન એક દીકરો ઉદય ઉવ. 07 અને એક દીકરી શીતલ ઉવ. 09 તેમની સાથે રહે છે. લોકો ચાલવા જાય ત્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે આ અનાથ બંને ભાઈ બહેન એકબીજા સામે જોઇને બેઠા હોવાનું જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જાણવા મળેલ હતું.આથી પોલીસ આ બન્ને અનાથ ભાઈ બહેનને સરકાર તરફથી સહાય આપવામાં મદદરૂપ બની હતી.

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ બાબતે પરબતભાઇ નંદાણીયાનો સામેથી સંપર્ક કરતા જાણવા મળેલ કે, પોતાના ભાઈ આલાભાઈ, કેશોદ ખાતે રહીને ખેતમજૂરી તથા ડ્રાઇવિંગ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. દરમિયાન એમના પત્નીનું 2016 મા આકસ્મિક અવસાન થયેલું હતું. ત્યારબાદ તાજેતરમાં એક વાહન અકસ્માતમાં પોતાના ભાઈને ઇજા થતા, વધુ સારવાર માટે તેઓને અમદાવાદ રીફર કરવામાં આવતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું પણ મૃત્યુ થતા, તેમના બને બાળકોને નોંધારા થતા, પરબતભાઇ પોતાના ઘરે લાવેલ હતા.

ગુજરાત સરકારના જિલ્લા બાળ સુરક્ષા ખાતા દ્વારા પાલક માતાપિતા યોજના અંતર્ગત સહાય મળતી હોવાનું સમજાવતા, તેમના ભાઈ આલાભાઈ નું નામ અકસ્માતમાં અરવિંદભાઈ લખાયેલ હોઈ અને મરણનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદથી લેવાનો હોઈ, પોતે અભણ હોઈ, કાર્યવાહી કરાવવા વિનંતી કરતા, રીટા. તલાટી સામતભાઈ પંપાણીયા અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તત્કાલીન કેશોદ પીએસઆઈ એન.બી. ચૌહાણનો સંપર્ક કરી, અકસ્માતમાં મૃત્યુ પામેલ આલાભાઇના નામમાં સુધારો કરી, અમદાવાદ કોર્પરેશનના કર્મચારી જગબિરસિંહ ચંપાવત સાથે સંકલન કરી, મરણનો દાખલો મંગાવી, જિલ્લા બાળ વિકાસ એકમ જૂનાગઢના અધિકારી રમેશભાઈ મહિડાના સહકારથી બંને બાળકોને ગુજરાત સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત બંને બાળકોના દર મહિને રૂ. 3,000 મંજૂર કરવામાં આવ્યા હતા. હવે બને બાળકો શીતલ અને ઉદયને દર મહિને ત્રણ ત્રણ હજાર 18 વર્ષના થાય ત્યાં સુધી મળશે.

ખેતમજૂરી કામ કરતા પરબતભાઇ મેણસીભાઈ નંદાણીયા આહીર દ્વારા પોતે અભણ હોઈ, જો જૂનાગઢ પોલીસ અને રીટા. તલાટી સામતભાઈ પંપાણીયા સાહેબનો સાથ સહકાર ના મળ્યો હોત તો, પોતે પોતાના ભાઈના છોકરાઓ આ યોજનાનો લાભ જીવનમાં ક્યારેય લઈ ના શક્યા હોત, તેવું જણાવી, જૂનાગઢ પોલીસ, જિલ્લા બાળ વિકાસ એકમ જૂનાગઢ તથા તલાટી પંપાણિયાનો આભાર વ્યક્ત કરેલ હતો.