ભરણપોષણની ચડત રકમ ભરવા માટે પુરતા પૈસા ન હોવાથી યુવકે વખ ઘોળ્યું

આંત્રોલી પોલીસ ચેક પોસ્ટથી આગળ માધવપુર જતા રોડ ઉપર પોરબંદરના યુવકનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢ નજીક આંત્રોલી પોલીસ ચેક પોસ્ટથી આગળ માધવપુર જતા રોડ ઉપર પોરબંદરના યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં ભરણપોષણની ચડત રકમ ભરવા માટે પુરતા પૈસા ન હોવાથી યુવકે વખ ઘોળ્યું હોવાનું બહાર આવ્યું છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ નજીક આંત્રોલી પોલીસ ચેક પોસ્ટથી આગળ માધવપુર જતા રોડ ઉપર નીલેશભાઇ હીરાભાઇ હરખાણી (ઉ.વ.૪૦ રહે.કડીયા પ્લોટ પોરબંદર) નામના યુવકે ગઈકાલે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પત્ની હંસાબેને મૃતક ઉપર ભરણ પોષણનો કોર્ટમાં કેસ કરેલ હોય જેની રકમની ચડત થઇ જતા મૃતક પાસે ભરણ પોષણ ભરવા પુરતા પૈસા ન હોય જેથી તેઓએ પોતાની મેળે ઝેરી દવા પી જઇને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.