મકાન વેચાતું લીધું હોવા છતાં બારોબાર સોદો કરી નાખી યુવકને લમધાર્યો

કેશોદના સરદારનગર સોસાયટી ચુનાભઠ્ઠી વિસ્તારમાં મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના સરદારનગર સોસાયટી ચુનાભઠ્ઠી વિસ્તારમાં યુવકે અગાઉ મકાન વેચાતું લીધું હોવા છતાં એ મકાનના મૂળ માલિકે આ મકાનને બરોબર અન્યને વેચી નાખ્યાનો મામલો સામે આવતા ઝઘડો થયો હતો.જેમાં લાજવાને બદલે ગાજેલા મકાન માલિકે અન્યો સાથે મળીને યુવકને લમધારી નાખ્યો હતો. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઇ વજુભાઇ ચાવડા (ઉ.વ.૩૩ રહે.કેશોદ સરદારનગર સોસાયટી ચુનાભઠ્ઠી) એ આરોપીઓ નાથાભાઇ મેર રણુજા ડેરી વાળા, વિરલ નાથાભાઇ મેર, વાંકો નાથાભાઇ મેર, રિધ્ધીબેન નાથાભાઇ મેર (રહે. બધા કેશોદ સરદારનગર ચુનાભઠ્ઠી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ એક આરોપી પાસેથી મકાન વેચાતુ લીધેલ હોય જેની સુથી ફરીયાદીએ આરોપીને આપેલ હોય તેમ છતા આરોપીએ તે મકાન ફરીયાદીને જાણ કર્યા વગર કોઇ અન્યને વેચી નાખેલ હોય જેથી ફરીયાદી ગઇકાલ તે બાબતે કહેવા જતા સામાન્ય બોલાચાલી અને ઝગડો થયેલ જેનુ મનદુખ રાખીને આરોપીઓએ લોખંડના પાઇપ વડે તથા ઢીકાપાટુથી ફરીયાદીને શરીરે આડેધડ માર મારી બન્ને હાથમાં તથા બન્ને પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ જમણા હાથ તથા ડાબા પગના ગોઠણની ઢાંકણીમાં પણ ઇજાઓ કરી ગાળો કાઢી હુમલો કર્યો હતો.