જૂનાગઢના મેળામાં ભાવિક ઉપર કુહાડીથી હુમલો કરનાર આરોપીની ધરપકડ

પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઈ આકરી પૂછપરછ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથ ખાતે યીજયેલા મહાશિવરાત્રીના મેળા દરમ્યાન એક ભાવિક ઉપર કહેવાતા શિષ્યએ કુહાડીથી હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. દરમિયાન પોલીસે આજે હુમલાખોરને ઝડપી લીધો હતો અને પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે

ભવનાથ ખાતે તાજેતરમાં શિવરાત્રીના મેળા દરમ્યાન ભાવિક રાજકોટના હાર્દિક પંડ્યા પર કુહાડી વડે હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવમાં દિનેશ સારલા નામના શખ્સ દ્વારા કુહાડી મારવામાં આવી હતી અને તેનો વિડિયો પણ વાયરલ થયો હતો. આથી આજે પોલીસે આરોપી દિનેશ સારલાની અટક કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનિંદર્રસિંહ પ્રતાપ સિંહ પવારની સૂચનાથી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.સી.ચુડાસમા સહીતના સ્ટાફે આ આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આરોપી ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું તેમજ આરોપી દિનેશ સારલા વાંકાનેરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.