જૂનાગઢ જિલ્લામાં ઘઉંની રૂા.૪૦૩ મણના ટેકાના ભાવે ખરીદી કરાશે

ખેડૂતો આજે તા.૨ થી ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમ ગોડાઉન ખાતે વિના મૂલ્યે નોંધણી કરી શકાશે

જૂનાગઢ : ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂા.૨૦૧૫(પ્રતિ મણ રૂા.૪૦૩)ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭,૧૨,૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઇ ને કે ગોડાઉન કક્ષાએ કોઇપણ રકમ ચુકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની યાદીમાં જણાવાયું છે.