કેશોદમાં રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનું ખાતમૂહુર્ત

ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મંત્રી દેવાભાઇ માલમના હસ્તે રેલવે અંડર બ્રીજનું ખાતમૂહુર્ત થયું

જૂનાગઢ : મુખ્યમંત્રીના ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પશુપાલન-ગૌસંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઇ માલમ અને સાંસદ રમેશભાઇ ધડુકના હસ્તે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રૂા.૨૧૦૩ લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે અંડર બ્રીજનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કેશોદ ખાતે આ અંડરબ્રીજનું કામ પુરૂ થવાથી ૩૦ વર્ષ જુના ચાર ચોકના રેલવે ફાટકનો પ્રશ્ન પુરો થશે. અને વાહન ચાલકોની હાલાકીનો અંત આવશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કેશોદ ખાતે અંડર બ્રીજનું કામ ૧૨ મહિનામાં પૂર્ણ થશે. જેમાં રેલવે લાઇન નીચેથી બ્રીજ એપ્રોચ રોડ તથા તેની આનુસાંગિક કામગીરી હાથ ધરાશે. ફાટક ઉપરથી રેલવે પસાર થવાના કારણે જે વાહન વ્યવહાર ખોરવાઇ જતો, ટ્રાફિકની સમસ્યા થતી હતી તેનો અંત આવશે. વધુમાં હોસ્પિટલ કે અન્ય ઇમરજન્સી સેવામાં પણ વધારો થશે.

આ પ્રસંગે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ પ્રાંસગિક ઉદ્દબોધન કર્યુ હતું. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસરે, આભાર વિધિ પ્રવિણભાઇ ભાલાળાએ કરી હતી.
આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, પૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ ધારાસભ્ય સામતભાઇ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ કાળુભાઇ દેત્રોજા, પરબતભાઇ પીઠિયા, પ્રફુલભાઇ પંડ્યા, જતીનભાઇ સોઢા, ધીરૂભાઇ કાતરિયા, અજીતભાઇ બાબરિયા, ભરતભાઇ વડારિયા, પ્રભાબેન બુટાણી, પ્રોજેક્ટ ઓફિસર રૂપાલા તેમજ અગ્રણીઓ કેશોદ નગરપાલિકાના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.