માથાના દુખાવાથી કંટાળીને પરિણીતાએ વખ ઘોળ્યું

માંગરોળના ઢેલાણા ગામે બનેલા બનાવમાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત

જૂનાગઢ : માંગરોળના ઢેલાણા ગામે માથાના દુખાવાથી કંટાળીને પરિણીતાએ ઝેર ગટગટાવી લીધું હતું. આથી પરિણીતાનું રાજકોટમાં વધુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના ઢેલાણા ગામે રહેતી ભારતીબેન અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગઇ તા.૧૫ના રોજ સવારના છએક વાગ્યા પહેલા નિંદણ બાળવાની ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવાર માંગરોળ લઇ વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યાથી રાજકોટની સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમ્યાન ગઈકાલે તા.૧૭ના રોજ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને અવારનવાર માથુ દુ:ખતુ હોય જેનાથી કંટાળી જઇ પોતે પોતાની મેળે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.