જૂનાગઢ મઢડા મંદિર ખાતે બનુંઆઈ માતાજીને અપાઈ સમાધી

સેંકડો માઇભક્તોએ કર્યા માંના પાર્થિવ દેહના અંતિમ દર્શન : આઈ કંચન માતાજીને ભેળિયો ઓઢાળી ગાદી સુપરત

જૂનાગઢ : ચારણ સમાજ સહીત સમસ્ત સમાજના આસ્થાના કેન્દ્ર એવા મઢડા મંદિરના બનું આઈ માતાજીનો દેહ વિલય થતા આજે સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં બનુંઆઈની અંતિમ ઈચ્છા મુજબ મઢડા મંદિર ખાતે સમાધી આપવામાં આવી હતી આ વેળાએ ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો,મહંતો હાજર રહ્યા હતા. આજના દિવસે મંદિરની ગાદીના અનુગામી તરીકે આઈ કંચન માતાજીને ભેળિયો ઓઢાળી ગાદી સુપરત કરવામાં આવી હતી.

જૂનાગઢ મઢડા મંદિરના બનુંઆઈ માતાજીનો દેહ વિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે ત્યારે આજે સેંકડો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે બનુંઆઈ માતાજીની પાલખી યાત્રા નીકળેલ હતી જેમાં ભક્તજનોએ માતાજીને અશ્રુભીની વિદાય આપી હતી. મઢડા ધામ ખાતે આજે બનુ આઈ માતાજીની સમાધિ પૂર્વે મંદિરની ગાદી ખાલી ન રહે તે પરંપરા અન્વયે આઈ કંચન માતાજીને ભેળિયો ઓઢાળી ગાદી સોંપવામાં આવી હોવાનું ઇન્દ્રભારતીબાપુએ જાહેર કર્યું હતું.