માણાવદર નજીક કાર ચાલકે બાઇકને ફંગોળી દેતા બેના મોત

જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માણાવદરના વાડાસડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે બાઇકને ફંગોળી દેતા બે વ્યક્તિના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નગીનભાઇ નાથાભાઇ ઢાંકેચા (ઉ.વ.૨૧ રહે.તરસઇ તા. જામજોધપુર જી. જામનગર)એ આરોપી સફેદ કલરની ફોર વ્હીલ કાર રજી.નં. GJ-32-B-૨૦૭૧ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, માણાવદરના વાડાસડા ગામ નજીક આરોપી કાર ચાલકે પોતાની કાર પરુપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના હવાલાની મો.સા. હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે-૧૦-બીએ-૧૯૩૯ને પાછળથી હડફેટે લઇ ફરીયાદી તથા સાહેદ મુકેશ તથા મનોજને રોડ ઉપર ફંગોળી દઇ બન્ને સાહેદોને ગંભીર ઇજા કરી મોત નીપજાવી તથા ફરીયાદીને નાની મોટી ઇજા કરી હતી.