કેન્સરની બીમારીનો રિપોર્ટ આવતાની સાથે જ નાસીપાસ થયેલા પતિ-પત્નીનો સજોડે આપઘાત

વંથલીના ખોરાસા ગામે દંપતીના આંત્યાતિક પગલાંથી તેમના પરિવારમાં અરેરાટી

જૂનાગઢ : વંથલીના ખોરાસા ગામે અતિ કરુણ ઘટના સામે આવી છે. જેમાં પતિને કેન્સરની બીમારી લાગુ પડી હોવાનો રિપોર્ટ આવતા જ ભાંગી પડેલા પતિ અને પત્નીએ સજોડે આપઘાત કરી લીધો હતો. દંપતીના આંત્યાતિક પગલાંથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત અનુસાર વંથલી તાબાના ખોરાસા ગામેં રહેતા પ્રવિણભાઇ પરબતભાઇ કારેથા (ઉ.વ.૪૪) અને તેમના પત્ની શાંતાબેન પ્રવિણભાઇ કારેથા (ઉ.વ.૩૮)એ ગઈકાલે પોતાના ઘરે સજોડે ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મરણજનાર છેલ્લા દશ બાર વર્ષથી માનસીક બિમારી હોય જેની દવા ચાલતી હતી. અને ઉપરથી પ્રવિણભાઇ આજથી ૨૦ દિવસ પહેલા કેન્સરની બિમારીનો રીપોર્ટ આવેલ હોય જેથી બંન્ને જણા બિમારીના ટેન્શનમાં ભાંગી પડ્યા હતા અને બન્ને પતિ પત્નીએ બીમારીની ચિંતામાં નાસીપાસ થઈને કોઇ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.