વંથલીના મેઘપુર ગામે મારામારીના બનાવમાં એક આરોપી સામે ફરિયાદ નોંધાઈ
જૂનાગઢ : વંથલીના મેઘપુર ગામે જમણવારના પ્રસંગ દરમિયાન આધેડને પાછળથી પડખાના ભાગે છરી મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શખ્સ સામે છરી વડે હુમલાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દલસુખભાઇ લાભશંકરભાઇ કેલૈયા (ઉ.વ.૫૦ રહે. મેઘપુર તા. વંથલી જી. જુનાગઢ)એ આરોપી અશ્વીનભાઇ જમનાદાસ કેલૈયા (રહે. મેઘપુર તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વંથલીના મેઘપુર ગામે ફરીયાદીના કાકાના દીકરા સાહેદ કમલેશભાઇ જમણવારના પ્રસંગમા હતા તે દરમ્યાન આરોપી ત્યા આવીને પાછળથી અચાનક પડખાના ભાગે છરી મારી ઇજા પહોચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.