વાડીના કામના બહાને લઈ જઈ શ્રમિકને ઝાડ સાથે બાંધી માર માર્યો

જૂનાગઢ જિલ્લાના ઓસા ગામે બનેલા બનાવમાં સાત વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ઓસા ગામે આવેલ વાડીના કામના બહાને લઈ જઈ શ્રમિકને ઝાડ સાથે બાંધી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ત્રી પુરુષ સહિત સાત વ્યક્તિઓ આ શ્રમિક ઉપર તૂટી પડીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે મારામારી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નારણભાઇ રાજાભાઇ મકવાણા (ઉ.વ.૩૨ રહે.પાદરડી ઘેડ ગામ તા.માણાવદર જી.જુનાગઢ)એ આરોપોઓ રાજાભાઇ કીંદરખેડીયા તથા ચાર અજાણ્યા પુરૂષ ઇસમો અને અજાણી બે સ્રીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ અન્ય આરોપી રાજાભાઇ કિંદરખેડીયાએ વાડીએ ગોડાઉનનાં પાયા છાપવાના છે તેમ કહી પોતાના સાથે બાઈકમાં તેની વાડીએ લઇ જઇ ગુંદાના ઝાડ સાથે બાંધી તમામ આરોપીઓએ કુહાડી જેવા જીવલેણ હથિયાર ધારણ કરી ફરીયાદીને શરીરે તથા માથામાં, વાસામાં, સાથળમાં લાકડીઓનાં સોટાથી તથા કુહાડીનાં મધરાટીથી શરીરે આડેધડ મુંઢમાર મારી કપાળનાં ભાગે લોહી કાઢી બંને અજાણી સ્ત્રીઓએ ઢીકાપાટુ તથા લાફાથી માર મારી ગાળો આપી અને આ તમામ આરોપીઓએ ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.