નોકરે જ માલિકના ગોડાઉનમાં હાથફેરો કરી વિશ્વાસઘાત કર્યો

જૂનાગઢના કડીયાવાળ શાકમાર્કેટ પાસે મહાદેવ ડેરી ગોડાઉનમા રોકડ રૂ.૮૫૧૯૦ ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના કડીયાવાળ શાકમાર્કેટ પાસે મહાદેવ ડેરી ગોડાઉનમા રોકડ રૂ.૮૫૧૯૦ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જો કે આ ઘટનામાં નોકરે જ માલિકના ગોડાઉનમાં હાથફેરો કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમરીશભાઇ ધીરજલાલ આખજા (ઉ.વ.૩૮ રહે.ઝાંઝરડા ચોકડી,પેરી હોમ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં-૮૦૪ જુનાગઢ)એ પોતાના નોકર નરેશભાઇ નામના શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૨૦ એપ્રિલના રોજ જૂનાગઢના કડીયાવાળ શાકમાર્કેટ પાસે મહાદેવ ડેરી ગોડાઉનમા આરોપી ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો અને આરોપીએ પોતાના માલીક (ફરીયાદી) ના ગોડાઉનના લોકરમાથી તાળુ તોડી તેમા રહેલ રોકડ રૂ.૮૫૧૯૦ ચોરી કરી નાશી છૂટ્યો હતો. પોતાના નોકરે જ વિશ્વાસઘાત કરતા માલિક ડઘાઈ ગયા હતા અને આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.