કેશોદ એરપોર્ટનું ૧૬મીએ ઉડ્ડયન મંત્રી-સીએમના હસ્તે ઉદ્દઘાટન

કેશોદ એરપોર્ટ શરૂ થવાથી જૂનાગઢ જિલ્લા અને આજુબાજુના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થશે

જૂનાગઢ : કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તા.૧૬ એપ્રીલના રોજ બપોરે ૨ કલાકે નવિનિકરણ કરાયેલ કેશોદ એરપોર્ટનો ઉદ્ધાટન સમારોહે યોજાશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.૨૫ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનુ નિર્માણ કરાયુ છે. ઉપરાંત કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે. સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો લાભ મળશે.

આ પ્રસંગે કેન્દ્રીય સડક પરિવહન રાજ્ય મંત્રી શ્રી વી.કે. સીંઘ, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદ શ્રી રાજેશભાઇ ચૂડાસમા, સાંસદશ્રી રમેશભાઇ ઘડુક સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીના કેશોદ તેમજ જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતીં.

કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી વેપાર, ઉદ્યોગોની સાથે સાથે દેશ-વિદેશથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા પ્રવાસીઓની સેવામાં પણ વધારો થશે. હાલ જૂનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે. ત્યારે હવે સાસણ સિંહ દર્શન, ગિરનાર રોપ-વે મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓ વિમાની સેવાનો લાભ લઇ શકશે.

કલેક્ટર રચિત રાજના જણાવ્યા મુજબ ઉડાન પ્રોગ્રામ અંતર્ગત તા.૧૭ એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ રૂટ પર વિમાની સેવાનો આરંભ થશે. એરપોર્ટ બિલ્ડીંગના રીનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા અને તેની આજુબાજુના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થશે અને પ્રવાસનને વેગ મળશે. તેમજ સાસણ ગીર, ગિરનાર, સોમનાથ અને દીવ વચ્ચે ટુરીઝમ સર્કીટ ડેવલપ થશે.