વેચેલા બાઇકના બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આધેડને માર માર્યો

કેશોદ નજીક સમ્રાટના પાટીયા પાસેના બનાવમાં એક શખ્સ સામે હુમલાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદ નજીક સમ્રાટના પાટીયા પાસે વેચેલા બાઇકના બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આધેડને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં આધેડે એક શખ્સ સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને પકડી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભુરાભાઇ ઇસ્માઇલભાઇ મીર (ઉ.વ.૫૨ રહે. હાલ કેશોદ સમ્રાટના પાટીયા પાસે માલધારી હોટલ પાછળ મુળ રહે. રાજસ્થાન)એ આરોપી રહેમાન કાળુ સલાટ (રહે. સમ્રાટ કેશોદના પાટીયા પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આજથી આઠેક મહિના પહેલા તેની બાજુમાં રહેતા રહેમાન કાળુ સલાટ વાળાને રૂ.૬૫૦૦ માં મોટર સાયકલ વેચેલ હોય જેના રૂ.૨૫૦૦ લેવાના બાકી હોય જેથી ફરીયાદીએ આરોપી પાસેથી પૈસા માંગતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની પત્ની શાંતાબેનને તથા ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી તથા ફરીયાદીને માથાના ડાબી સાઇડ કાન ઉપર પથ્થર લઇ મારી ઇજા પહોંચાડી હતી.