રામનવમી નિમિતે પોસ્ટર ફાડી નાખવા મામલે છ શખ્સો પાઇપ-ધોકાથી તૂટી પડ્યા

કેશોદની રાજ ગોલા વાળી શેરીમાં છ શખ્સોના હુમલામાં ત્રણથી વધુ ઘાયલ

જૂનાગઢ : કેશોદની રાજ ગોલા વાળી શેરીમાં રામનવમી નિમિતે લગાવેલા પોસ્ટર કોઈએ ફાડી નાખતા આ બાબતની શંકા રાખી છ શખ્સોએ પાઇપ-ધોકાથી હુમલો કરી અને પથ્થરમારો કર્યો હતો. શેરીમાં છ શખ્સોના હુમલામાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી છ આરોપીઓ સામે ગુન્હો દાખલ.કરી તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જીગરભાઇ કેશુભાઇ દેવળીયા (ઉ.વ ૨૪ રહે.રણછોડનગર ૧ બગીચાની પાછળ કેશોદ) એ આરોપીઓ હીરાચંદ મખનસીંગ ચૌહાણ, અજયસિંગ મખનસીંગ ચૌહાણ તથા અજાણ્યા ચાર માણસો (રહે.બધા રાજગોલા વાળી શેરીમાં કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદો રામનવમીના તહેવાર નિમિતે કેશોદ ટાઉનમાં પોસ્ટરો લગાડતા હોય અને કેશોદ રાજગોલાની પાસે આવેલ ગલીમાં કોઇએ પોસ્ટર ફાડી નાખતા ફરીયાદી તથા સાહેદો તે ગલીમાં પુછપરછ કરવા જતા છએય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લોખંડનો પાઇપ ધારણ કરી ફરીયાદીને પગમાં મારી તેમજ લાકડાનો ધોકો ધારણ કરી સાહેદ મહુલભાઇ નાનજીભાઇ ગોંડલીયાને મારી અન્ય ચાર અજાણ્યા આરોપીઓએ છુટા પથ્થરોના ફરીયાદી તથા સાહેદો ઉપર ઘા કરતા સાહેદ ઉમેશભાઇ પ્રભાશંકર ભટ્ટને માથામાં લાગી ગયેલ અને તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.