માળિયા હાટીના આઇટીઆઈ ખાતે ૪ એપ્રિલે ભરતી મેળો યોજાશે

ધો.૧૦ અને ૧૨ અને આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા યુવકો ભાગ લઈ શકશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ ૪ એપ્રિલના રોજ માળિયા હાટીના આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી નોકરી દાતાઓ પાસેથી જુદી જુદી ખાલી જગ્યાઓ માટે તારીખ ૪ એપ્રિલના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શ્રી આઇ.ટી.આઇ. માળિયા હાટીના, ગળોદર રોડ, માળિયા હાટીના ખાતે ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પોતાના તમામ અસલ સર્ટિફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા(આધાર કાર્ડ/પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે અને સમય સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી તથા આઇ.ટી.આઇ. લાયકાત ધરાવતા તેમજ વય ૧૮ થી ૨૭ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે.નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર ન રહેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે