આવતીકાલે જૂનાગઢમાં પાર્થિવ ગોહિલ સહિતના કલાકારો દેશભક્તિ ગીતોની સુરાવલી વહાવશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક અમૃતયાત્રા યોજાશે : 125 કલાકારો જોડાશે

જૂનાગઢ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ ખાતે આવતીકાલે પાર્થિવ ગોહિલ સહિતના ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક અમૃત યાત્રા યોજાશે.

જૂનાગઢના દાતાર રોડ પર આવેલા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6.30 કલાકે જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ સહિતના જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે.જેમાં ૧૨૫ થી વધુ કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થશે.

સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે કોરોનાના બે વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની અમૃત યાત્રા શીર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પહેલાં ચરણમાં આ કાર્યક્રમ આગામી તા.૨૪ માર્ચ માંગલ્ય પાર્ટી પ્લોટ, દાતાર રોડ, જૂનાગઢ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક-દિગ્દર્શક શ્રી નિસર્ગ ત્રીવેદીએ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે.

જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક શ્રી અંકુર પઠાણે સંભાળી છે. જેમાં જૂનાગઢના નુપુર કલાવૃન્દ, પોરબંદરના મેર રાસ મંડળ તથા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મીંગ આર્ટ દ્વારા વિવિધ કૃતિઓ રજુ થશે.

કોરોના કાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

આગામી તારીખ ૨૪ માર્ચના રોજ જૂનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતીઓના ગૌરવ સમા કલાકાર અને પાર્શ્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાના સ્વરો રેલાવશે. ગુજરાતના સુરીલા અને જાણીતા કલાકાર સાત્વની ત્રીવેદી અને બહાદુર ગઢવી પણ સાથે જોડાશે. સાથે સાથે જૂનાગઢના જ જાણીતા કલાકાર પરીન્દા જાની પણ આ સ્ટેજ પરથી પોતાના સ્વરો રેલાવશે. જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ છે તેવા રાધા મહેતા જૂનાગઢ મુક્તિ દિન સહિતની વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર ડો.રણજીત વાંક સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ તરફથી યોજાનાર છે. જેમાં આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તા.૨૪ માર્ચ સાંજે ૬:૩૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.