પારિવારિક ઝઘડામાં ટ્રેકટરની આડે બઠેલાં પતિને દૂર કરવા જતાં પત્નીને માર પડ્યો

ભેસાણના બરવાળા ગામે મારામારી બનાવમાં પરિણીતાએ પોતાના દિયર અને નણંદ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ભેસાણના બરવાળા ગામે પારિવારિક ઝઘડામાં ટ્રેકટરની આડે બઠેલાં પતિને દૂર કરવા જતા પત્નીને તેના દિયર અને નણંદે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી પરિણીતાએ પોતાના દિયર અને નણંદ સામે ફરિયાદ નોંધાવતા આ પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રંજનબેન રાજેશભાઈ રીબડિયા (ઉ.વ.૩૭ રહે.બરવાળા, તા.ભેસાણ)એ તેમની નણંદ જયશ્રીબેન કેશવભાઈ તથા દિયર ભરતભાઈ કેશવભાઈ રીબડિયા (રહે.બન્ને બરવાળા તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પતિ રાજેશભાઈ કેશવભાઈ રીબડિયા ટ્રેકટર આડા બેસી ગયેલ તેથી ફરીયાદી તેને દુર કરવા જતા આરોપીએ ફરીયાદીના માથે લોખંડની કોસનો એક ઘા મારી દિધેલ તેમજ બીજા આરોપીએ લાકડી વતી ફરીયાદીના શરીરે આડેધડ ધોકાઓ મારી ઈજાઓ કરી હતી.