જૂનાગઢમાં અજાણ્યા યુવકની લાશ મળવાના પ્રકરણમાં હત્યાનો ગુન્હો દાખલ

યુવકની હત્યા થયાનું ખુલતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢ નજીક ગઈકાલે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના પ્રકરણમાં આ યુવાનની હત્યા થયાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જો કે હજુ સુધી મૃતકની ઓળખ કે હત્યાનું કારણ બહાર આવ્યું નથી. હાલ આ રહસ્યમય હત્યાના બનાવનો ભેદ ઉકેલવા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લા જેલ પાછળ સૌરાષ્ટ્ર ભુમી પ્રેસ પાસે ગઈકાલે સવારે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે મૃતકના શરીર પર આડેધડ ઇજાના નિશાનો અને લોહી નિગળતી હાલતમાં લાશ મળી આવતા પ્રથમીક દ્રષ્ટિએ જ આ બનાવ હત્યાનો હોવાની શંકા જાગો હતી.દરમિયાન પોલીસે આ બનાવનું કારણ જાણવા મૃતકનું પીએમ કરાવતા બનાવ હત્યાનો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આથી પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.

જેમાં ફરિયાદી બ્રીજમોહનભાઇ રામેશ્વરલાલ શર્મા (ઉ.વ.૫૮ રહે. જિલ્લા જેલ પાછળ સૌરાષ્ટ્ર ભુમી પ્રેસમાં મુળ રહે.જુની દીલ્હી નવીનસાગરા ગામ લોની વૈષ્ણોદેવી મંદિર પાસે જુનાગઢ) એ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા પુરૂષ ઉ.વ.આ.૩૦ને આ આરોપી અજાણ્યા ઇસમોએ કોઇપણ કારણસર મરણ જનારને કોઇપણ હથિયાર અથવા પથ્થરથી જમણા કાન ઉપર તથા જમણી બાજુ માથામાં ઘા મારી જીવલેણ ગંભીર ઇજાઓ કરી હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે આ બનાવનો ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.