ગેરકાયદે જમીન ખાલી કરાવવા વૃદ્ધ સહિત બે વ્યક્તિનું અપહરણ કરી માર માર્યો

માંગરોળ નજીક ચંદવાણા ગામની સેજકવા વાડી વિસ્તાર દરસાલી ગામના રસ્તે બનેલા બનાવમાં છ આરોપીઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળ નજીક ચંદવાણા ગામની સેજકવા વાડી વિસ્તાર દરસાલી ગામના રસ્તે ગેરકાયદે જમીન ખાલી કરાવવા વૃદ્ધ સહિત બે વ્યક્તિનું અપહરણ કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર દિવસમાં જમીન ખાલી કરવાની ધમકી આપી છ શખ્સોએ હુમલો.કર્યાની વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભોજાભાઇ ગોવીંદભાઇ પરમાર (ઉ.વ.૭૩ રહે.ચંદવાણા ગામ સેજકવા વાડી વિસ્તાર દરસાલીના રસ્તે તા.માંગરોળ) એ આરોપીઓ બે મોટર કારમા આવેલ અજાણ્યા છ માણસો તથા શકદાર વિક્રમ પોલા સીંહાર રહે.ચીત્રી તથા પ્રમોદ દેવદાન આહીર રહે.વંથલી સામે ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા છ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘરે આવી ફરીયાદીના ઘરનો દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશ કરી જબરદસ્તીથી ફરીયાદીને તથા સાહેદ દીનેશભાઇને પોતાના ઘરેથી મોટર કારમા બેસાડી ઉપાડી જઇ અપહરણ કરી ઓસા ગામ બાજુ લઇ જઇ ફરીયાદી તથા સાહેદ દીનેશભાઇને લાકડીઓ વડે તેમજ ઢીકાપાટું વડે શરીરે માર મારી ઇજાઓ કરી ફરી તથા સાહેદ દીનેશભાઇને પેટ્રોલના શીશાઓ વડે સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી તથા સાહેદોના કબ્જાવાળી જમીન ચાર દિવસમા બાબુભાઇ પરમારને ખાલી કરવાનું કહી સમગ્ર ગુન્હામા ફરીયાદી ના જણાવ્યા મુજબ શકદાર તરીકે વિક્રમ પોલા સીંહાર તથા પ્રમોદ દેવદાન આહીર હોવાનું જણાતું હોવાની ફરિયાદ નોંધાવી છે.