આજે વડાપ્રધાનના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થશે : જૂનાગઢના 3.23 લાખ ખેલાડીઓ ભાગ લેશે

બે વર્ષ બાદ ખેલ મહાકુંભ યોજાતા 54.42 લાખ ખેલાડીઓમાં ઉત્સાહ

2019ના રજીસ્ટ્રેશન અને 2022ના ટાર્ગેટ કરતા વધુ રજીસ્ટ્રેશન

જૂનાગઢ : રાજ્યમાં આજે વડાપ્રધાનના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખેલ મહાકુંભમાં કુલ 54.42 લાખ ખેલાડીઓ ભાગ લેનાર છે. ત્યારે ખેલાડીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન 2 વર્ષ બંધ રાખવામાં આવેલ ખેલ મહાકુંભ આ વર્ષે 2022માં યોજાવવા જઈ રહ્યો છે. આજે 12 માર્ચે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ શરૂ થતા સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. ખેલ મહાકુંભના ઉદ્ધાટન સાથે ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી 2022ની પણ જાહેરાત થશે.

ખેલ મહાકુંભ માટે થયેલા રજીસ્ટ્રેશનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન જૂનાગઢ જિલ્લામાં થયું છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય 2,16,810 અને જૂનાગઢ શહેર 1,07,082 મળી કુલ 3,23,892 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જૂનાગઢ ગ્રામ્યમાં ટાર્ગેટ 1,35,000 કરતા અને 2019ના 1,31,806ના રજીસ્ટ્રેશન કરતા વધારે છે અને જૂનાગઢ શહેરમાં ટાર્ગેટ 1,05,000 કરતા અને 2019ના 82,838ના રજીસ્ટ્રેશન કરતા વધારે છે.

ત્યારે ખેલ મહાકુંભમાં રાજ્યભરમાં 2019માં કુલ 46,89,730 ખેલાડીઓના રજીસ્ટ્રેશન સામે અને આ વર્ષે કુલ 50,00,000 રજીસ્ટ્રેશનના ટાર્ગેટ સામે કુલ 54,42,201 રજીસ્ટ્રેશન થયું છે. આમ, બે વર્ષના અંતરાલ બાદ ખેલ મહાકુંભ યોજાતા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.