જમીન-મકાન વેચવાની ના પાડતા યુવકને કુહાડીના ઘા ઝીકયા

કેશોદના જોનપુર ગામે હીંચકારો હુમલો કરનાર બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ : કેશોદના જોનપુર ગામે જમીન-મકાન વેચવાની ના પાડતા યુવકને કુહાડીના ઘા ઝીકયા હોવાની તેમજ વચ્ચે પડેલા તેના પિતરાઈ ભાઈને પણ માર પડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામાભાઇ બીજલભાઇ કોડીયાતર (ઉ.વ.૨૨ રહે. જોનપુર ગામ તા.કેશોદ) એ આરોપીઓ ભીખુભાઇ ડાયાભાઇ કોડીયાતર, મેરખીભાઇ વિસાભાઇ કોડીયાતર (રહે. બન્ને જોનપુર તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને તેમના ગામના આરોપી ભીખુભાઇ તથા મેરખીભાઇએ કહેલ કે મને તારી જમીન તથા મકાન વેચાતા આપી દે જેથી ફરીયાદીએ ના પાડતા બન્ને આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને મેરખીભાઇએ એક ઘા કુહાડીનો મુદર જમણા પગમાં મારેલ તેવામાં ફરીયાદી નીચે પડી જતા આરોપી ભીખુભાઇએ ફરીયાદીને એક ઘા લાકડીનો માથાના ભાગે મારી દીધેલ હોય અને તેવામાં મારા મોટાભાઇ બાપાનો દીકરો વચ્ચે પડી વધુ મારમાંથી બચાવવા વચ્ચે પડતા ઝપાઝપીમાં આ મેરખીભાઇના હાથમાં રહેલ કુહાડી આ બાલુભાઇને માથાના ભાગે વાગી ગયેલ અને લોહી નિકળવા લાગેલ હોય ફરીયાદીને બન્ને જણા જતા જતા કહેતા હતા કે તારી જમીન તથા મકાન અમને વેચાતી આપી દે નહિતર તને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી.