વીસાવદર નજીક કાર અકસ્માતમાં બે મહિલાના મોત મામલે ફરિયાદ નોંધાઈ

મૃતકના પરિવારજને કારચાલક સામે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : વીસાવદર નજીક ચાપરડાથી નાની મોણૅપરી જતા રસ્તે ગઈકાલે કાર અચાનક ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલી બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પરિવારજને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મણીલાલ વશરામભાઇ ક્યાડા (ઉ.વ.૫૦ રહે.જામકા તા.જી.જુનાગઢ) એ આરોપી કાર ચાલક પારસ વલ્લભભાઇ વઘાસીયા( રહે.જામકા તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, વીસાવદર નજીક ચાપરડાથી નાની મોણૅપરી જતા રસ્તે ગઈકાલે આરોપી ફોરવ્હીલ નં-GJ-10-AP-2698 ના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાવી ફરીયાદીના પત્ની તથા ફઈનુ મોત નીપજાવી તથા સાહેદોને ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.