કરીયાવર બાબતે પતિએ પત્નીને માર મારી ત્રાસ આપ્યો

માણાવદરના જાંબુડા પ્લોટ વિસ્તારમાં બનેલા બનાવમાં પતિ ઉપરાંત સાસરિયા સામે પણ ગુન્હો દાખલ

જૂનાગઢ : માણાવદરના જાંબુડા પ્લોટ વિસ્તારમાં કરીયાવર અને ઘરકામ બાબતે પતિએ પત્નીને માર મારી ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે પતિ ઉપરાંત સાસરિયાઓએ પણ પરિણીતાને શારીરિક માનસિક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભારતીબેન સંજયભાઇ મકવાણા (ઉ.વ.૨૨, રહે.ગામ જાંબુડા, પ્લોટ વિસ્તાર તા.માણાવદર, હાલ રહે.માણાવદર, ગૌતમનગર,શેરી નં.૨,રામાપીરના મંદીર સામે તા.માણાવદર) એ તેના પતિ- સંજયભાઇ કાનાભાઇ મકવાણા, સાસુ- મધુબેન કાનાભાઇ મકવાણા, સસરા- કાનાભાઇ મકવાણા, દિયર- ભાવેશભાઇ કાનાભાઇ મકવાણા (રહે.બધા ગામ જાંબુડા પ્લોટ વિસ્તાર તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને કરીયાવર બાબતે અવાર નવાર મેણા ટોણા મારી શારિરિક તથા માનશિક દુખત્રાસ આપી તેમજ ફરીયાદીને કામકાજ બાબતે મેણાટોણા મારી જેમફાવે તેમ બોલાચાલી કરી આરોપી પતિએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.