જુના મનદુખનું સમાધાન કરવાની ના પાડતા આધેડ ઉપર હુમલો

જૂનાગઢના મદાર ફળીયા વિસ્તારમાં થયેલી મારામારીમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના મદાર ફળીયા વિસ્તારમાં જુના મનદુખનું સમાધાન કરવાની ના પાડતા આધેડ ઉપર હુમલો કરી તેમના ઘરમાં નુકશાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇસ્માઇલભાઇ હાજીભાઇ પડાયા (ઉ.વ.૪૬ રહે. ઢાલ રોડ મદાર ફળીયા જુનાગઢ) એ આરોપીઓ ફારૂકભાઇ જેઠવા, જાવેદભાઇ જેઠવા, ખાલીક જેઠવા, આસીફભાઇ જેઠવા
(રહે. બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતો કે, આરોપીઓએ ફરીયાદી સાથે અગાઉ થયેલ મનદુખના સમાધાન માટે આવી ફરીયાદીએ સમાધાનની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઢીકાપાંટુનો માર મારી તીક્ષ્ણ હથીયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમા નુકશાન કર્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.