વેપારી પાસેથી ઘરેણા બનાવવા સોનુ મેળવી બંગાળી કારીગરે રૂ.૨૫,૧૦ લાખનો ચુનો લગાવ્યો

જૂનાગઢના માલીવાડા રોડ પર બનેલી ઘટનામાં બંગાળી કારીગર સામે છેતરપીંડીની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના માલીવાડા રોડ પર સોની વેપારી પાસેથી ઘરેણા બનાવવા સોનુ મેળવી બંગાળી કારીગરે રૂ.૨૫,૧૦ લાખનો ચુનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંગાળી કારીગરે સોનુ મેળવી લીધા બાદ દાગીના કે રૂપિયા પરત ન કરતા અંતે તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી (અમીતભાઇ ચીમનભાઇ ભીંડી ઉ.વ.૨૯ રહે. આંબાવાડી શ્રીનાથજી ફ્લેટ બ્લોક નં-૩૦૨ કેશોદ) એ આરોપી તારકભાઇ નાગેન્દ્રભાઇ પોરે (રહે. ગામ સીતાપુર પશ્વીમ બંગાળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭/૦૯/૨૧થી તા.૧૭/૦૨/૨૨ દરમિયાન માલીવાડા રોડ વિનાયક વોચ નામની ઘડીયાળની દુકાનની ઉપરના માળે જુનાગઢ ખાતે બનેલા આ બનાવમાં આરોપીએ આ કામના ફરીયાદી સાથે પરીચય સબંધ બાંધી ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને છેતરપીંડી કરી હતી.

આરોપીને ફરીયાદીએ આપેલ હાથ ઉછીનુ તથા ગ્રાહકના ઓર્ડર પ્રમાણે ઘરેણા બનાવવા આપેલ ૪૧૫.૪૨૦ મીલીગ્રામ સોનુ જેની આ.કિ.રૂ. ૨૧,૦૪,૭૩૭ નુ પરત નહી આપી તથા સાહેદો યુનુસભાઇ મયુદ્દીનભાઇ શેખ તથા વીરેનભાઇ રમેશભાઇ ફીચડીયા રહે બન્ને જુનાગઢ વાળાઓ સાથે પણ આરોપીએ પરીચય સબંધ બાંધી તેઓને વિશ્ર્વાસમાં લઇ હાથ ઉછીનુ તથા ઘરેણાના બદલે શુધ્ધ સોનુ આપવા માટે આપેલ ૮૦ ગ્રામ સોનુ જેની આ.કિ.રૂ. ૪,૦૫,૪૮૦ નુ મળી કુલ સોનુ ૪૯૫.૪૨૦ મીલી ગ્રામ જેની આ.કિ.રૂ. ૨૫,૧૦,૨૧૭ નુ પરત નહી આપી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.