જૂનાગઢમાં કૃષિ વિષયક ઓનલાઈન તાલીમમાં ૧૫૮ ખેડૂતો જોડાયા

કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિવિધ પાકો અંગે માર્ગદર્શન આપ્યું

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્રારા ઓન લાઈન ખેડૂત તાલીમ તા.૧૫ ફેબ્રુઆરીના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૧૫૮ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઇ માર્ગદર્શન મેળવ્યું હતું.

કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોટીયાનાં માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમનાં અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાએ જણાવ્યું કે, તાલીમએ સતત પ્રક્રિયા છે અને સમય સાથે તાલ મિલાવે તેને તાલીમ કહેવાય છે. હાલ ઉનાળુ વાવેતરની તૈયારીઓ ચાલતી હશે જે અંતર્ગત તમને યુનિવર્સિટીનાં તજજ્ઞો માહિતી આપશે. આ વર્ષે મગફળી-કપાસનું વાવેતર ઘણા વિસ્તારમાં થયેલ છે. આ વર્ષે સતત માવઠાના કારણે પાક ઉપર તેની અસર જોવા મળી છે. તેમાં પણ ખાસ કરીને કઠોળ, તલ તેમજ મસાલા જેવા પાકો ઉપર વધુ માઠી અસર થશે. જે અંતર્ગત અમારા કૃષિ વિજ્ઞાનીકો આપને હાલની પરિસ્થિતિમાં જે પાકો છે. તેમાં આવી વિપરીત સ્થિતિમાં શું કરી શકાય? તે અંગે માર્ગદર્શન આપશે.

આ તલીમમાં કૃષિ વિજ્ઞાનીકો ડો.જી.કે.સાપરાએ ઉનાળુ તેલીબીયા પાકોનું આયોજન, પ્રો.પીન્કીબેન.એસ.શર્માએ ઘર આંગણે શાકભાજી, ડો.એલ.સી.વેકરીયાએ સોઈલ હેલ્થકાર્ડનું મહત્વ, ડો.એસ.કે.છોડવડીયાએ સજીવ ખેતી અને ડો.એલ.કે.શર્માએ ઉનાળુ કઠોળ પાકોનું આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત જોનપુરનાં પ્રાકૃતિક ખેતી કરતા રાકેશભાઈ જીલડીયાએ પણ હાલ જે વધુ પડતી દવાઓ અને ખાતરોનાં ઉપયોગથી માનવ જીવન ઉપરતો અસર થાય છે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે.

આ પ્રસંગે ડો.જી.આર.ગોહિલે વિસ્તરણ પ્રવૃતો અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંકલન અને સંચાલન ડો.જી.આર.ગોહિલે અને પ્રો.પીન્કીબેન.એસ.શર્માએ કર્યું હતું.