પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો

માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

જૂનાગઢ : માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો હોવાની ઘટના સામે આવી છે. આથી મૃતકના પિયર પક્ષે પતિ અને સાસુ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (હા.) ના અમરાપુરગીર ગામે રહેતી શ્વેતાબેન પ્રવિણભાઇ ખાણિયા (ઉ.વ. ૨૯) નામની પરિણીતાએ ગત તા.૧૧ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિયર પક્ષના નાગેશભાઇ પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ. ૨૫ રહે.આદ્રી તા.વેરાવળ જી. ગીર સોમનાથ) એ આરોપી પતિ પ્રવિણભાઇ માધાભાઇ ખાણિયા અને સાસુ મોહિદેબેન ઉર્ફે મંજુબેન માધાભાઇ ખાણિયા (રહે.બંને અમરાપુરગીર તા.માળિયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપી મૃતકના પતિ તથા બીજા આરોપી આરોપી સાસુ થતા હોય બન્ને આરોપીઓએ મૃતકને કરિયાવર બાબતે માનસિક દુખત્રાસ આપી મરણ જવા મજબુર કરતા શ્વેતાબેન પ્રવિણભાઇ ખાણિયાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.