લીવઇનમાં રહેતી રાજકોટની યુવતીની જૂનાગઢમાં હત્યા : અડધી રાત્રે જંગલમાંથી લાશ શોધી કાઢતી જૂનાગઢ પોલીસ

મૃતક મહિલાને ત્રણ-ચાર માસનો ગર્ભ હોવાનું ખુલ્યું : રાજકોટના યુવક અને યુવતી પાંચ વર્ષથી લિવ ઇનમાં રહેતા હોય ચારિત્ર્યની શંકા જતા જૂનાગઢ ગિરનારમાં માનતા ઉતારવાના બહાને લઈ આવી યુવકે જ હત્યા કરીને લાશ જંગલમાં ફેંકી દીધી

જૂનાગઢ : રાજકોટની યુવતીની જૂનાગઢમાં નિર્મમ હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે પાંચ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા તેના પ્રેમીએ આડાસબંધની શંકામાં તેની ઠંડા કલેજે હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને યુવતી ઉપર ચારિત્ર્યની શંકા જતા જૂનાગઢ ગિરનારમાં માનતા ઉતારવાના બહાને લઈ આવી યુવકે જ હત્યા કરીને લાશ જંગલમાં ફેંકી દીધી હતી.આ ચકચારી બનાવમાં ગતરાત્રીના જૂનાગઢ પોલીસે જંગલમાંથી લાશ શોધી કાઢી આરોપીને ગિરફ્તમાં લીધો છે.

જૂનાગઢ ડીવાયએસપી પી.જી.જાડેજાએ આ હત્યાના બનાવની મીડિયા સમક્ષ આપેલી વિગતો મુજબ રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફની એક અરજી સંદર્ભે સઘન તપાસ કરતા આજે જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાંથી રાજકોટ આજી ડેમ પાસે રહેતી ઊર્મિલાબેન દેવીપૂજક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ બનાવની વધુ તપાસ કરતા મૃતક મહિલા સાથે પાંચ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા તેના બુટલેગર પ્રેમી ટીનો ઉર્ફે મનસુખભાઇ જાદવ નામના શખ્સે આ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દરમિયાન હત્યાના બનાવ અંગે મૃતકની રાજકોટમાં રહેતી તેની માતા ભાવનાબેને જૂનાગઢ આવી ભવનાથ પોલીસ સ્ટેશનના હત્યારા ટીનો ઉર્ફે મનસુખભાઇ જાદવ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતક ઊર્મિલાબેન દેવીપૂજક અને હત્યારા ટીનો ઉર્ફે મનસુખભાઇ જાદવ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં લિવ ઇનમાં પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. ત્યારે છેલ્લા કેટલાક સમયથી મૃતકની ચારિત્ર્ય ઉપર શંકા જતા આરોપીએ દિવ જવાનું કહી વચ્ચે આવતા જૂનાગઢ ભવનાથ ખાતે માનતા ઉતારવા રોકાવવાનું કહી ત્યાંજ યુવતીને કોઈ તીક્ષણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરીને લાશને ભવનાથ જંગલમાં ફેંકી દીધી હતી.

પોલીસની તપાસમાં મૃતક મહિલાને ત્રણ-ચાર માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. તેમજ મૃતકની માતાએ આરોપી દારૂનો ધંધો કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે હત્યારા આરોપીને ગિરફ્તમાં લઈ વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.