ઘરઘણી માનતા પુરી કરવા રાણાવાવ ગયા ને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વંથલીના ઝંડાચોક પાસે આવેલ સૈયદવાડાના બંધ મકાનમાં તસ્કરોએ પાડયું ખાતર

જૂનાગઢ : વંથલીના ઝંડાચોક પાસેના સૈયદવાડામાં આવેલ એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જેમાં ઘરઘણી માનતા પુરી કરવા રાણાવાવ ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

વંથલીના ઝંડાચોક પાસે આવેલ સૈયદવાડામાં રહેતા બસીરભાઇ અહેમદભાઇ બુખારી (ઉ.વ.૪૦) અજાણ્યા શખ્સો સામે વંથલી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૬ના રોજ ફરીયાદી ઘર બંધ કરી રાણાવાવ ખાતે બેનને ત્યાં માનતા પુરી કરવા ગયા હતા. તે દરમયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના દરવાજા ઉપરની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂા.૧૦૦૦૦ તથા સોનાના એરીંગ જોડ-૧ કિ.રૂા.૫૫૦૦૦ એમ કુલ રૂા.૬૫૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.