જૂનાગઢમાં સિનિયર સિટીઝનો માટે વડિલ સ્વાભિમાન યોજનાનું લોન્ચિંગ

આ યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને સરકારી કામ માટે અગ્રતા અપાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજના બાદ સિનિયર સિટીઝનો માટે વડિલ સ્વાભિમાન યોજના લોન્ચ કરાઇ છે. વડિલ સ્વાભિમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝનને ગ્રે કાર્ડ આપવામાં આવશે. આ યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને સરકારી કામ માટે અગ્રતા અપાશે.

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા સમાહર્તા રચિત રાજે વડીલ સ્વાભિમાન યોજના હેઠળ ૧૦ લાભાર્થીઓને ગ્રે કાર્ડ વિતરણ કર્યા હતા. પ્રાથમિક તબક્કે આ યોજના માણાવદર અને વંથલી તાલુકામાં લાગુ કરવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ વંથલી તાલુકાના ૪૭૪૬ લાભાર્થીઓની યાદી બનાવવામાં આવી છે.

આ યોજના અંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે વડિલ સ્વાભિમાન યોજના શરૂ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં વડીલોની વંદના કરવામાં આવી છે. ત્યારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સરકારી કામમાં લાઇનમાં ઉભુ ન રહેવું પડે, હાલાકી ન ભોગવવી પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે, તેથી વધુ વયના નાગરિકોને સરકારી કામમાં અગ્રતા અપાશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી, અર્ધ ખાનગી સંસ્થામાં પણ અગ્રતા મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ગ્રે કાર્ડ માટે વંથલી મદદનીશ કલેક્ટર હનુલ ચૌધરીએ પહેલ કરી છે. આ પ્રસંગે જૂનાગઢના પ્રાંત અધિકારી ભુમિ કેશવાલા, વંથલી મામલતદાર, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેશુભાઇ કુછડિયાએ કર્યુ હતુ.

ગ્રે કાર્ડના લાભાર્થી માણાવદરના બાવનભાઇ વાદા, રમણીકભાઇ ભુવા અને ગુલાબબેન ભુવાએ જિલ્લા વહિવટીતંત્રની આ યોજનાને આવકારી તેમના પ્રતિભાવો આપ્યા હતા. ગ્રે કાર્ડના લાભાર્થીઓ
કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા સમાહર્તા રચિત રાજના હસ્તે લાભાર્થીઓને ગ્રે કાર્ડ વિતરણ કરાયા હતા. જેમાં માણાવદરના બાવનભાઇ સરમણભાઇ વાદા, રમણિકભાઇ લીલાધરભાઇ ભુવા, ગુલાબબેન રમણિકલાલ ભુવા, અનંતકુમાર ગોરધનભાઇ દુધાત્રા, યોગેશભાઇ અમરસીભાઇ કક્કડ, વંથલીના નાવડાના જેરામભાઇ વીરાભાઇ વાણવી, મહોબતપુરના તેજાભાઇ આલાભાઇ બગડા, ચુનીલાલ દેવજીભાઇ ટીલવા, ગોરધનભાઇ સોલંકી, શાંતાબેન ચુનીલાલ ટીલવાને ગ્રે કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.
કઇ કઇ સેવામાં વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે
સરકારશ્રી દ્વારા રાજ્યના દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. આ કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થીને મુશ્કેલી ન પડે સરળતાથી સરકારી સેવાનો લાભ લઇ શકે એ માટે જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા ગ્રે કાર્ડ યોજના લોન્ચ કરી છે. ગ્રે કાર્ડ હેઠળ ૬૦ વર્ષથી વધુના નાગરિકો આયુષ્યમાન ભારત અંગેની અરજી રેશનકાર્ડ સંબંધી કામગીરી ઘરેલુ નવા વીજ જોડાણ, જન્મ મરણના પ્રમાણપત્ર, આવકના દાખલો, આરોગ્ય વિષયક સેવાઓ જેવી ૩૯ જેટલી સેવાઓનો લાભ લઇ શકાશે.

મામલતદાર ઓફિસમાંથી મળી શકશે ગ્રે કાર્ડ આ ગ્રે કાર્ડ મેળવવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મનો દાખલો અથવા લીવીંગ સર્ટીફિકેટ હોય તો આપવાનું રહેશે. આ કાર્ડ તાલુકા મથકે મામલતદાર ઓફિસથી નિકળશે.
સરકારી કચેરીઓ સાથો સાથ ખાનગી અને અર્ધ ખાનગી સંસ્થાઓમાં પણ અપાશે અગ્રતા
જૂનાગઢ જિલ્લામાં સિનિયર સિટીઝનો માટે ગ્રે કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ સરકારી કચેરીઓ સાથો સા ખાનગી અને અર્ધ ખાનગી સંસ્થામાં પણ અગ્રતા આપવામાં આવે તેવા કલેક્ટર દ્વારા પ્રયાસો કરાશે. કલેક્ટરનો આભાર માનીએ છીએ કે અમને સરકારી કચેરીના કામકાજમાં અગ્રતા આપી.

માણાવદરના બાવનભાઇ સરમણભાઇ વાદાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેક્ટર દ્વારા સિનિયર સિટીઝનો માટે ગ્રે કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત આજે મને ગ્રે કાર્ડ મળ્યું છે. કલેક્ટરનો આભાર માનીએ કે, સરકારી કચેરીના કામકાજમાં અમને અગ્રતા આપવામાં આવી છે. સિનિયર સિટીઝનોને લાઇનમાં ઉભવુ ન પડે તમજ પ્રાથમીકતા મળે તે માટે આ યોજના શરૂ કરી છે જે ઉત્તમ છે.