જૂનાગઢ જિલ્લામાં આજે માત્ર પાંચ કોરોના પોઝિટિવ કેસ

શહેર – જિલ્લામાં કોરોનાના 12 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે શહેર અને જિલ્લામાં મળી કુલ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. બીજી તરફ આજે 12 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 5 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં આજે એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 1, કેશોદમાં 0, માળીયામાં 0, ભેસાણ 0, માણાવદરમાં 3, મેંદરડા 0, માંગરોળમાં 0, વંથલીમાં 0 અને વિસાવદરમાં 0 કેસ સામે આવતા જિલ્લામાં આજે માત્ર 5 કેસ જ નોંધાયા હતા.

બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 12 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4525 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 7340 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.