જૂનાગઢમાં કોરોનાના ભુક્કા બોલી ગયા : માત્ર 13 કેસ

જૂનાગઢ, કેશોદ અને ભેસાણ સિવાય અન્યત્ર એક પણ કેસ સામે ન આવતા રાહત : આજે જૂનાગઢ જિલ્લામાં 35 દર્દીઓ સાજા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં સંક્રમણ કાબુમાં આવી ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે આજે કોરોના વાયરસના ભુક્કા બોલી ગયા હોય તેમ નવા માત્ર 13 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સારી બાબત એ છે કે, આજે શહેર અને જિલ્લાના 35 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 13 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં આજે પણ પોઝિટિવ કેસ સિંગલ ડીઝીટમાં રહેતા ગઈકાલે 5 દર્દીમાં ત્રણના વધારા સાથે 8 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 2, કેશોદમાં 2, માળીયામાં 0, ભેસાણ 1, માણાવદરમાં 0, મેંદરડા 0, માંગરોળમાં 0, વંથલીમાં 0 અને વિસાવદરમાં 0 કેસ રહેતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

જો કે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 35 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4467 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 12092 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.