પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવ દીધો

જુનાગઢની ગણેશ સોસાયટીમાં બનેલી ઘટનામાં પતિ અને સાસરિયા સામે મરવા મજબૂર કર્યાનો ગુન્હો દાખલ

જૂનાગઢ : જુનાગઢની ગણેશ સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઈએ પોતાની બહેનના પતિ અને સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વજશીભાઇ અરશીભાઇ
વાઢીયા (ઉ.વ.૩૩ રહે. ગામ-ચંદવાડા તા.માંગરોળ) એ આરોપીઓ ભાવેશભાઇ ઉકાભાઇ વાઝા, રતનબેન ઉકાભાઇ વાઝા, નીરૂબેન ઉકાભાઇ વાઝા, વર્ષાબેન ઉકાભાઇ વાઝા (રહે. તમામ આરોપીઓ ગામ મોટી ઘસારી તા.કેશોદ જી.જૂનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ના રોજ જોષીપરા, ખલીલપુર રોડ વિશ્વાસ સીટી પાછળ ગણેશ સોસાયટી જુનાગઢ ખાતે ફરીયાદીની બહેન ભારતીબહેનને આરોપીઓએ અવાર-નવાર શારીરિક, માનસિક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા તેણીએ શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઇ ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.