જૂનાગઢના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રિકોશન ડોઝની કામગીરી વેગવંતી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજના 30થી વધુ લોકોને અપાય છે પ્રિકોશન ડોઝ

જૂનાગઢ : કોરોના મહામારીને કાબુમાં લેવા એક માત્ર વેકસીન જ શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે જૂનાગઢના શાપુરમાં કોરોના વેકસીન અભિયાન અવિરત પણે ચલાવવામાં આવી રહ્યું છે અને બન્ને ડોઝ લીધાના 9 માસ બાદ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીમાં દરરોજના 30થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પરમારે જણાવ્યું હતું કે, આ પીએચસી હેઠળ 17 ગામડાઓ આવે છે. આ તમામ ગામના સિનિયર સિટીઝનોને કે જેમને પ્રિકોશન ડોઝ લેવાનો છે. તેમને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે. અત્યારે શાપુર પીએચસી ખાતે રોજના 30થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનો, શિક્ષકોને પ્રિકોશન ડોઝ આપવા માટેની કામગીરી કરવામાં આવે છે. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જઇ પોલીસ જવાનોને પ્રિકોશન ડોઝ આપ્યા હતા તેમજ દરેક શાળાએ જઈ શિક્ષકોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ 9 માસ પૂર્ણ નથી થયા તેવા તેમજ બિમાર પડેલા કોરોના વોરિયર્સ પ્રિકોશન ડોઝ આપવાના બાકી છે પણ રોજેરોજ શાપુર પીએચસી દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

શાપુર પીએચસી ખાતે પ્રિકોશન ડોઝ લેવા આવનાર 63 વર્ષના શાંતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, મે કોરોના વેક્સીનના બન્ને ડોઝ પહેલા લઈ લીધા હતા અને આજે બીજા ડોઝના 9 મહિના પૂર્ણ થતાં પ્રિકોશન ડોઝ લઇ કોરોનાથી રક્ષિત થઇ છું. કોરોનાની વેક્સીન લીધી હોવાથી કોરોના હજુ સુધી થયો નથી અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. લોકોને અપીલ કરૂં છું કે, કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન લઈ લેવી જોઈએ.