લોએજ નજીક રસ્તા ઉપર ઉતરી આવેલા સિંહને વાહન ચાલકોએ રસ્તો આપ્યો
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વનરાજાઓએ ધામા નાખ્યા છે ત્યારે અહીંના લોએજ ગામ નજીક વનરાજા જાહેર માર્ગ ઉપર ટહેલવા નીકળી પડતા વાહન ચાલકોએ વાહન થંભાવી રસ્તો આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ તાલુકાના દરિયાકાંઠાના લોએજ ગામમાં સિંહ આંટાફેરા કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વનરાજા રોડ ઉપર આવી જતા વાહન ચાલકોએ વાહન રોકી સિંહને રસ્તો આપ્યો હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે.
નોંધનીય છે કે, માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહોએ ધામા નાખ્યા છે અને લોકોના ખેતરમાં તેમજ ગામ સુધી વનરાજા આવતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે કિનારાથી થોડી દૂર રસ્તા ઉપર સિંહ રસ્તો શોધતો હોય તેવા દ્રશ્યો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.