જૂનાગઢ ખાતે સાંપ્રત સમયમાં સંસ્કૃત ભાષા અને ગર્ભ સંસ્કાર શાસ્ત્ર અધ્યયન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાં તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા અંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે ખાસ વ્યાખ્યાન યોજાયું હતું.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રનાં અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય તજજ્ઞ તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રાધ્યાપક ડો.ભૈરવીબેન દિક્ષિત હાજર રહ્યા હતાં.

તેઓએ સાંપ્રત સમયમાં સંસ્કૃતનું મહત્વ, સંસ્કૃત વિષયનો વ્યાપ, અધ્યયન પધ્ધતિ તેમજ ગર્ભ સંસ્કાર શાસ્ત્ર વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ સહિતના ઉદાહરણો સાથે ગર્ભ સંસ્કાર શાસ્ત્ર અને તેજસ્વી અને યશસ્વી બાળક વિશે સમજ આપી હતી. વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, સૃષ્ટિ, પરમેષ્ઠી, સામાજિક પુનરૂત્થાન, શિક્ષણ, સંસ્કાર વિશે પણ વિસ્તૃત સમજણ આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા અંતમાં આભાર વિધિ ડો.પરાગ દેવાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું. હાલમાં યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં અંદાજે ૯૦ ટકા જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. તે બાબતે પણ ડો.ભૈરવીબેન દિક્ષિતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.