મકાનમાથી તસ્કરો 75 હજારનો સોયાબીન પાક વાહનમાં ભરીને ઉપાડી ગયા

માળીયા હાટીનાના વીરડી ગામેં ખેડૂતના મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના વીરડી ગામેં ખેડૂતના ખેતરમાંથી ઉપડીને મકાનમાં રાખેલ સોયાબીનના તૈયાર પાકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેતરમાથી તસ્કરો 75 હજારનો સોયાબીન પાક વાહનમાં ભરીને ઉપાડી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીનાના વીરડી ગામે રહેતા ખેડૂત બાબુલાલ કેશવજીભાઇ કાનાબાર (ઉ.વ.૬૫)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૮/૧૨/૨૧ ના રાત્રીના સમયે ફરીયાદીએ પોતાના ખેતરમાં તૈયાર થયેલ સોયાબીન પાકમાંથી સોયાબીન કટ્ટા નંગ-૭૦ યોગેશભાઇ વીરાભાઇ મોરીના મકાનમાં રાખેલ હતા. જે સોયાબીનના કટ્ટા નંગ-૭૦ માંથી સોયાબીનના કટ્ટા નંગ-૨૫ કિ.રૂ. ૭૫,૦૦૦ કોઇ અજાણ્યા ઇસમ તે મકાન તથા ડેલીનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી વાહનમાં ભરી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાબની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.