નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે જૂનાગઢમાં કોંગ્રેસની રેલી યોજાઈ

જૂનાગઢના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાની ઉગ્ર માંગ

જૂનાગઢ : ” તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” ના જોશીલા નારા સાથે દેશમાં આઝાદી લહેર ઉભી કરી આઝાદીની ચળવળ કરનાર કાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 126 મી જન્મજયંતિએ જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ રેલીમાં જોડાઈને નેતાજી સુભાષચંદ્ર બોઝની શોર્યગાથાને યાદ કરી જૂનાગઢમાં તેમની કાયમ માટે સ્મૃતિ જળવાઈ રહે તે માટે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાની ઉગ્ર માંગ કરી છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આજે દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 126 મી જન્મજયંતિ નિમિતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ ભવન ખાતે ધારાસભ્ય ભીખાભાઈના વરદ હસ્તે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાઈને નારા લગાવી નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતાને કોટી કોટી નમન કર્યા હતા. આ રેલી મુખ્યમાર્ગો ઉપર ફરીને જૂનાગઢના શહીદ પાર્ક ખાતે રેલી પૂર્ણ થઈ હતી. દેશની આઝાદી માટે યોગદાન આપનાર નેતાજીની પ્રતિમા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મુકવાનો જુનગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાશે. જો આ પ્રસ્તાવ મંજુર ન થાય તો આંદોલન કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલે ચીમકી આપી છે.