ભંગારના ડેલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, તસ્કર સામે ફરિયાદ

જૂનાગઢના સુખનાથ ચોક નુરી મસ્જીદ પાસે આવેલ ભંગારના ડેલાના માલિકે નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના સુખનાથ ચોક નુરી મસ્જીદ પાસે આવેલ ભંગારના ડેલામાં એક શખ્સે દીવાલ કુદીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તસ્કરનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા ભંગારના ડેલાના માલિકે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગફારભાઇ ઉમરભાઇ પીરાણી (ઉ.વ.૫૩ રહે. નરસીંહ મહેતાના ચોરા પાસે શાલીમાર મેમણ કોલોની બ્લોક નં.એ-૪૧મા જુનાગઢ) એ આરોપી એજાજશા ઇસ્માઇશા રફાઇ રહે.જુનાગઢ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના રોજ જૂનાગઢના સુખનાથ ચોક નુરી મસ્જીદ પાસે આરોપીએ ફરીયાદીના ભંગારના ડેલાની દીવાલ કુદી અંદર જઇ લોખંડના જાડા ટુકડાઓ એક પ્લાસ્ટીકના કોથળામા ભરી તથા બીજા પ્લાસ્ટીકના કોથળામા જુની પાણીની મોટરનો ભંગાર ભેગો કરી તથા અમુક જુના લોખંડના પાઇપ પણ અલગ કરી આ ઉપરોકત અલગ કરેલ તમામ વસ્તુઓની ચોરી કરવાના ઇરાદે ડેલામાથી અલગ અલગ જગ્યાએથી ભેગી કરી ચોરીની કોશીશ કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.