જાણો.. ઉત્તરાયણમાં મજા સજા ન બને તે માટે શી કાળજી રાખશો?

જૂનાગઢ : ઉત્તરાયણનો તહેવાર બાળકો માટે આનંદનો તહેવાર છે. આ તહેવારનું અનેરું મહત્ત્વ છે. બાળકો તા. 14 અને 15ના દિવસે ધાબા ઉપરથી ઉતરવાનું નામ લેતા હોતા નથી. પરંતુ આ ‘મજા’ ક્યારેક ‘સજા’ પણ બની શકે છે. પતંગ ચગાવવા, લૂંટવા અને સતત તડકા-ઠંડીને કારણે અનેક રોગો અને અકસ્માતો થઇ શકે છે. આવી આપતિ ન સર્જાય એ માટે નીચેની કાળજી લેવી જોઇએ.

1. સૂર્યપ્રકાશથી વીટામિન ‘ડી’ મળે છે. પરંતુ વધારે પડતો સૂર્યપ્રકાશ ચામડી માટે સારો નથી. સનબર્ન ન થાય તેના માટે SPF 30 to 50 ધરાવતું સનસ્ક્રીન લોશન લગાવવું.

2. UV Rays ના પ્રોટેકશન માટે સનગ્લાસીસ અને કેપ (ટોપી) પહેરવી.

3. હાઇડ્રેટ રહેવા માટે સતત પાણી, લીંબુ સરબત અને ફ્રુટ જ્યુસ પીતા રહેવું.

4. સાબુથી બરાબર હાથ ધોવા, જમવાની કોઇ વસ્તુ હાથમાં લેતાં પહેલાં હાથને સેનેટાઇઝ કરવા.

5. ગળાના ભાગમાં દોરીથી ઇજા ન પહોંચે એ માટે ગળે પટ્ટી બાંધવી અથવા કેપવાળું સ્વેટર પહેરવું.

6. હાથની આંગળીઓ પર દોરી ઘસાવાથી ઇજા ન પહોંચે એ માટે ફીંગર પ્રોટેકશન ટેપ અથવા ગ્લોવ્ઝ પહેરાવવા.

7. મકાનની આજુબાજુમાંથી ઇલેક્ટ્રીક વાયર નીકળતા હોય તો ખાસ તકેદારી રાખવી. વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા માટે દોરી ખેંચવી નહિ, પતંગને જતી કરવી.

8. પતંગ ચગાવતી વખતે ઉચું જોઇને કૂદાકૂદ કરવી નહિ. કપાયેલી પતંગ પકડવા માટે બહુ લાંબુ થવું નહિ.

9. ઉત્તરાયણના દિવસોમાં ટુ વ્હીલર લઇને બહાર નીકળવાનું થાય તો બાળકને આગળના ભાગમાં બેસાડવું નહિ.

10. ઉત્તરાયણના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ઉધિયું બનતું હોય છે. એક સાથે આટલા જથ્થામાં શાકભાજી અને કઠોળ મળી શકવા ન હોવાથી વાશી ચીજોનો ઉપયોગ થતો હોય છે આવું ઉધિયું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

11. જલેબીની વ્યાપક માંગ થવાથી બે ત્રણ દિવસ અગાઉ આથો લઇને ખીરું તૈયાર કરવામાં આવે છે, આવી જલેબી ખાવી નહિ.

12. અવાજનું પ્રદૂષણ વધારતા D.J. નો ઉપયોગ ટાળવો. શાંત વાતાવરણમાં જ પતંગ ઉડાડવા.

13. ઉત્તરાયણ પૂરી થઇ ગયા પછી ફાટેલા પતંગ અને તૂટેલા દોરા ધાબા અને આજુબાજુમાંથી એકઠા કરીને બાળીને તેનો નિકાલ કરવો, જેથી કોઇના પગમાં ન આવે.

14. તમારી દોરીથી કોઇ પક્ષીને ઇજા ન પહોંચે તેની કાળજી રાખવી.

(આલેખન : ડો. જયેશ સનારીયા,
સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, શનાળા રોડ, મોરબી)