રીક્ષા પુલ નીચે ખાબકતા રીક્ષા ચાલકનું મોત, પેસેન્જરો ઘાયલ

વિસાવદર ધારી હાઇ-વે રોડ પર લાલપુર ગામ પાસે અકસ્માત

જૂનાગઢ : વિસાવદર ધારી હાઇ-વે રોડ પર લાલપુર ગામ પાસે ગઈકાલે પેસેન્જર રીક્ષા પુલ નીચે ખાબકી હતી. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય પેસેન્જરોને નાની માટી ઇજા થઇ હતી.

વીસાવદર પોલીસ મથકેથી આ અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અશોકભાઈ ઉકાભાઈ નાવલિયા (ઉ.વ.૪૪ રહે.પ્લાસવા ગામ તા.જી જુનાગઢ) નામના રીક્ષાના ચાલક ડ્રાઇવર પોતે પેસેન્જરો ભરીને જતા હતા.તે દરમ્યાન વિસાવદર ધારી હાઇ-વે રોડ લાલપુર ગામ પાસે મેલડીમાના મંદિર સામે પોતાના હવાલાવાળી રીક્ષા પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા પુલ નીચે ખાબકતા રીક્ષના માલિક ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. તેમજ રીક્ષા અંદર બેઠેલા બહેનોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.