જૂનાગઢમાં યુવકનું મર્ડર કરનાર બેની ધરપકડ

ગાળો બોલવા મામલે હત્યા કરી હોવાની આરોપીઓની કબૂલાત

જૂનાગઢ : જૂનાગઢના જયશ્રી રોડ ઉપર થયેલી યુવાનની હત્યા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તેમજ ગાળો બોલવાની ના પાડતા હત્યા કરી હોવાનું આરોપીઓએ કબૂલાત કરી છે. હાલમાં બંને આરોપીને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જૂનાગઢ શહેરના જયશ્રી રોડ પર થોડા દિવસ પર રાકેશ ઉકભાઈ બાંભણીયાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃતકના મામા ખીમજીભાઈ વેલજીભાઈ ઘોસીયાએ સન્ની વિજુ દેવીપૂજક અને સંજય દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી હતી. આથી, બંને આરોપીઓને બી ડીવીઝન પોલીસ અને એલસીબીની ટીમે સન્ની અને સંજય દેવીપુજકને પકડી લઈ તેની પુછપરછ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ અને રાકેશ બાંભણીયા જયશ્રી રોડ પર ઉભા હતા. ત્યારે રાકેશે સન્નીને ગાળ આપી હતી. જેથી, ઝઘડો થયો હતો. જેથી, સંજયે રાકેશને પકડી રાખ્યો અને સન્નીએ રાકેશને છાતીમાં છરી મારી હત્યા કરી નાખી હતી. હાલમાં આ હત્યાના ગુનામાં સંજય અને સન્નીની ધરપકડ કરવામાં આવી છે અને બંનેએ હત્યા કર્યાની કબૂલાત આપી છે.